–જુગલકીશોર.
જાણી ન શકું, આભ ઝરે ચાંદની કે આગ ?
દાઝેલી ચામડી ને આંખ લઈ ફરું છું હું.
ભુલી ગયો છું હું હતો હીન્દુ કે મુસલમાન,
મારા જ માણસોથી માર ખઈ ફરું છું હું.
કોને કહું,ઘર ક્યાં ગયું,ઘરનાંય ક્યાં ગયાં ?
ખુદની જ શોધ છાવણીમાં રહી કરું છું હું.
કહેવાતું મારું જે હતું તે તો બધું ગયું;
અંગોય જાણે કોઈનાં જ લઈ ફરું છું હું !
એ અગ્નીતાંડવે જે બધું સળગતું રહ્યું,
એના જ બધા ડાઘ સાચવી ફરું છું હું.
આ મારવા ને કાપવાની વાતનો મર્યો
માર્યા વીનાનો મરણતોલ થઈ ફરું છું હું.
કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું !
===000===


