—જુગલકીશોર.
ઘટનાઓને કોઇ નીમંત્રણ હોતાં નથી. વણમાગ્યાં ને ગમતાં કે અણગમતાં મહેમાનોની જેમ એનું પ્રગટતું રહેવું સહજ છે. ઘટનાઓ જેમ આપણને વશ વર્તતી નથી તેમ આપણે પણ એને વશ ન રહીએ એમ માનવા-ઇચ્છવા સહેજે મન થાય.પણ કોણ જાણે કેમ, ગમે તટલું મથીએ,ઘટનાઓને વશમાં રાખવાનું સરળ તો નથી જ.
કેટલીક ઘટનાઓને આપણે સર્જ્યાનો યશ કે એનું ગૌરવ લઇ શકાય છે. આ મારું સર્જન છે એમ કહીને આપણે કૃતી કે કાર્યની નીચે આપણું નામ લખી દઇએ છીએ ! સાહીત્ય કે બીજી કોઇપણ પ્રકારની કૃતીના સર્જકનો માલીકી હક્ક અબાધીત રહે છે, સર્જકના મૃત્યુ પછી પણ ! એ જ અધીકાર પછી એનાં સંતાનો પણ ભોગવતાં રહે છે. ને એમ સર્જનો, કે જે પણ એક મહત્વની ઘટના હતી,ની માલીકીનો ભોગવટો વંશપરંપરાગત રીતે ભોગવાતો રહે છે. સર્જનો પણ એક અલૌકીક અને દૈવી કહી શકાય તેવી અવશ બાબત હોવા છતાં સર્જક અને એનાં વારસદારો એના પર પોતાનું આધીપત્ય અને વર્ચસ્વ સ્વીકારાવતાં રહે છે.
સર્જનનું સ્વાંત:સુખાયત્વ, નીચે કરવામાં આવેલી સહીને કારણે નંદવાઇ જાય છે.ઘટનાઓ ઘડી શકવાની માનવીની મહાશક્તીનું માહાત્મ્ય જાણે–અજાણે આ સહી કરવાની બાબતને લઇ અવમુલ્યન પામતું પામતું જણાય છે.પછી તો સર્જનનો આનંદ પણ માલીકીનો આનંદ બની રહે છે !!
ભાવકને ભાગે આવતો સર્જનનો સાચો આનંદ જેને વીગલીતવેદ્યાંતરાનંદ કહ્યો છે, એ જ પછી તો ગૌરવ લેવા લાયક રહે છે.સર્જક પોતે પણ એ આનંદનો માલીક રહી કે બની શકતો નથી ! માલીકીનો આનંદ એને પેલા દીવ્યાનંદથી વંચીત કરી દે છે!!
અનીર્વચનીય અને અલૌકીક ઘટનાઓ આપણને વશ ન વર્તે એનું જ તો ખરું મુલ્ય છે સર્જનની પ્રક્રીયામાં ! સર્જક પોતે જ કોઇ અગોચરને વશ વર્તતો હોવાનું સ્વીકારતો આવ્યો છે સદાય. સર્જકનું સર્જન જ નહીં, સર્જક પોતે પણ કોઇ અગોચર ઘટનાનું એક પાત્ર છે એની જાણકારી, એનો સહજ સ્વીકાર એ નાનીસુની ઘટના નથી !!


