[ ઋતુરાજ વસંત કોને ન ગમે ? એ જ વસંત વિદાય લે તે કોને ગમે ?! આજે અહીં ભારતમાં ધબધબાવીને ગ્રીષ્મ રંજાડે છે ત્યારે વસંતની યાદ કોને ન આવે !! પરંતુ અહીં બે કવિઓએ વસંત-વિદાયની વેદનાને જે વાચા આપી છે તે કવિતાને કેટલી ઉંચાઈએ પોગાડી દે છે ! આપણ સૌ માટે કવિતાની કળાના આ બે આદરણીય નમુનાઓ મૂકું છું; મારી પસંદનાં કેટલાંક કાવ્યોમાંનાં એ છે. વસંત-વિદાયની વેદના ઝાકળની આંખેથી અનગળ વરસતી અનુભવો : ]
1] વસંત ગૈ રે વીતી.
વસત ગૈ રે વીતી,
ક્યાં છે કોકિલની કલગીતિ ?
હિમાદ્રિને હિમ હિંડોળે
મલય પવન જૈ પોઢ્યો;
ડાલ ડાલ રે અવ નહીં ડોલે,
અગન અંચળો ઓઢ્યો;
ક્યાં છે પલાશની ફૂલ પ્રીતિ ?
ઊડે અબીલ ગુલાલ નહીં,
નહીં રંગરંગની જારી;
નભની નીલનિકુંજ મહીં
રે નહીં કેસરની ક્યારી;
રે અવ ધૂળે ધૂસર ક્ષિતિ !
–નિરંજન ભગત.
–000–
2] વસંત આજે પોઢે.
પવન-કાંધ પર ચડ્યો જનાજો
કોયલ ગાય મરસિયા !
ઝાકળની આંખોમાં અનગળ
બારે મેઘ વરસિયા !
બહાવરી મંજરી શિર પટકે ને
ભમરાઓ દુ:ખ જલ્પે !
રડી રડીને લાલ સૂઝેલી
આંખે ખાખર વિલપે !
પરિમલનાં રેશમી કફનોને
લપટી અંગે ઓઢે !
ફૂલ ફૂલની કબરોમાં ઊંડે
વસંત આજે પોઢે !
–ચંદ્રકાન્ત ટોપીવાળા.


