અનુસ્વાર મુખ્ય બે પ્રકારના હોય છે : કોમળ અને તીવ્ર. તીવ્ર અનુસ્વાર સ્પષ્ટ સાંભળી શકાય, જ્યારે કોમળ
અનુસ્વાર હળવા અને જલદી પસાર થઈ જતા લાગે.
ઉદાહરણો : તીવ્ર : પંડિત, અંદર, મંગલ, ભીંડો, વંડી વગેરે.
કોમલ : હું, છું, શું, કાં, ત્યાં, વીંછી, પૂંછ વગેરે,
કેટલાક મહત્વના નિયમો :
1- નામના એકવચનમાં, નાન્યતરજાતિમાં છેલ્લે ઉંકારાન્ત આવે ત્યારે અનુ. કરવાનો.
દા.ત. : પપૈયું, મરચું, રમકડું, ઘોડિયું, પાટિયું, છોકરું વગેરે.
2- નાન્યતરજાતિમાં,વિશેષણ એકવચનમાં અંતે ઉંકારાન્ત હોય તો અનુસ્વાર આવે.
દા.ત. : કાચું પપૈયું, લીલું મરચું, નાનું રમકડું,મઝાનું ઘોડિયું વગેરે.
3- ઉપર મુજબનાં બંનેનાં બહુવચનમાં આં.પ્રત્યય લાગશે; એમાં અનુસ્વાર કરવાના.
દા.ત.: કાચાં પપૈયાં, લીલાંમરચાં; નાનાં; મઝાનાં વગેરે.
4- વિભક્તિના પ્રત્યયો-નું,નાં તથા સર્વનામ વગેરેમાં અનુસ્વાર આવશે.
દા.ત. મારું, મારાં, તેનું, તેમનાં, માડી ઘરડાં થયાં; તેઓ ભલાં હતાં.
5- પ્રથમ પુરુષ એકવચન ‘ હું ‘ સાથેનાં સર્વનામ કે ક્રિયાપદોમાં અનુ.આવે.
દા.ત. રમું, ભણું, તરું, હસું,…… પેલું, મારું, વગેરે.
6- ભવિષ્યકાળ સાથેનાં પ્રથમ પુરુષ બહુવચનમાં અનુસ્વાર આવે-
દા.ત. ખાઈશું, પીશું, રમીશું, જઈશું વગેરે.
7- કોઈપણ ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશાં અંતે અનુસ્વાર લઈને જ આવે
દા.ત. કહેવું, જવું, દોડવું, શીખવું, લખવું, ઝઘડવું વગેરે વગેરે.
8- વર્તમાન કૃદંતના આધારે બનેલાં ક્રિયાવિશેષણોમાં અનુ.આવે જ
દા.ત. જતાં જતાં, બોલતાં, રમતાં રમતાં, મઝાક કરતાં કરતાં,
9- માં, માંથી, માંહી, માંહે માં અનુસ્વાર હોય.
10- અહીં, દહીં, નહીં, (નહિમાં અનુ. ન આવે ), માં અનુ.આવે.
11- પુરુષવાચક સર્વનામોમાં જેમકે હું, મેં, તું, તેં, મારું, તારું આપણું, તમારું વગેરે
12- કેટલાંક સર્વનામો વગેરેમાં અનુ.આવશે : પેલું, પેલાં, શું, કશું, કેવું, કેવાં વ.
એક મઝાની વાત :
કેટલાક ટુંકા શબ્દોને અંતે ઉકારાંત આવે છે. જેમકે સાબુ, ઝાડુ, આંસુ, તાંબુ,લાડુ વગેરેમાં અનુસ્વાર આવે કે નહીં
તે જાણવાની એક કસોટી છે !
આવા શબ્દોની પાછળ નો કે થી કે માં પ્રત્યય લગાડી જુઓ. એમ કરવાથી જો શબ્દમાં ફેરફાર કરવો પડે તો સમજી લેવું કે એના મૂળ શબ્દને છેડે અનુસ્વાર આવે. દા.ત. તાંબું,ઝીણું,બીબું આ શબ્દોની પાછળ નો,થી કે માં પ્રત્યય લગાડવાથી મૂળ શબ્દમં ફેર થશે : તાંબાને/ તાંબાથી/ …ઝીણાને/ઝીણાથી….બીબામાં/ બીબાને/બીબાથી વગેરે
પરંતુ જો સાબુ,ઝાડુ,લાડુ વગેરેને પ્રત્યય લગાડો સાબુથી/ લાડુને/ઝાડુથી વગેરે.તો આ શબ્દોમાં ફેરફાર થતો નથી સાબુનું સાબુ જ રહે છે તેથી આ બધા શબ્દોની ઉપર અંતે અનુસ્વાર નહીં આવે. આવા શબ્દોને સંખ્યા લગાડો તો પણ મૂળ શબ્દ એમનો એમ જ રહે જેમકે પાંચ ઝાડુ, બે લાડુ.
બીજી એક કસોટી : શબ્દની પાછળ ઉકારાંત હોય અને એને બહુવચન કરતાં જ જો ઉ નો આ થઈ જાય તો તે શબ્દને અનુસ્વાર હોય, નહીતર ન આવે. દા.ત. શાણું નું બહુવચન કરવા જાઓ તો શાણાં થઈ જશે એટલે શાણું પર અનુસ્વાર હોય પણ જેનું બહુવચન કરતાં ફેરફાર ન થાય તો અનુ. નહીં હોય જેમકે વહુનું બ.વ. વહુઓ થાય છે, વહાં નહીં !! જ્યારે પારણુંનું બ.વ. કરશો કે તરત જ પારણાં થઈ જશે !
કસોટી : એમની આંખમાં હર્ષનાં…..આવી ગયાં ( ખાલી જગ્યા પુરો ) શબ્દકોશમાં જોયા વિના.
Posted in ભાષા વીષયક પાઠો


