Posted by: jugalkishor | March 13, 2007

નૅટ-પિંગળ : 6

                                                                                                       —જુગલકિશોર.

“એક બાજુ સંગીત અને બીજી બાજુ ગદ્ય - એમ બંને ઉત્કૃષ્ટ બિંદુઓની વચ્ચે છંદ:શાસ્ત્રનું ઝરણું વહે છે.કવિતા ગદ્યમાં સંભવી શકે છે અને છે પણ ખરી; ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્’એ વિશ્વનાથવાક્ય  ‘કાદંબરી’ જેવા ગદ્યકાવ્યોથી સત્ય ઠર્યું છે; તો પણ કવિહૃદયનો ઊર્મિપ્રવાહ, સામાન્ય રીતે, સરિતાના જલપ્રવાહની જેમ, છંદના કિનારાઓમાં વહેવું પસંદ કરે છે.

“કવિતા શ્રોત્રપેય કલા હોઈ એને કાનથી પીવાની છે, એટલે એમાં લયનું મહત્વ સ્વીકારાયું છે.શ્વાસ અને ઉચ્છ્વાસમાં, નાડી-હૃદયના ધબકારમાં, પવનની લહરીઓમાં, વર્ષાના છંટકાવમાં, વક્તાના આરોહ-અવરોહવાળા સંભાષણમાં આપણે લયની ગતિ પામીએ છીએ.

“કવિહૃદયમાં ઊઠતી ભાવની ભરતી પ્રથમ એક પ્રકારનું આંદોલન જગાવે છે. આ આંદોલન પોતાની મેળે જ ભાવને અનુકૂળ છંદ શોધી લઈને કાવ્યરૂપે અવતરણ પામે છે….છંદને કવિતાસુંદરીનાં ઝાંઝર ગણી-તેને બંધનરૂપ ગણી-કેટલાક કવિઓએ તે ફગાવી દીધાના દાખલા છે.છતાં ઉપર્યુક્ત આંદોલન એક યા બીજા સ્વરૂપે રજૂ થઈ તેમની કવિતાના શબ્દ-દેહને ‘સાંદોલ’ તો કરી ગયું છે જ. ‘નિયતિકૃતનિયમરહિત’ કાવ્યજગત સ્વતંત્ર છે પણ અતંત્ર નથી….”
                                                                                                                         –ચિમનલાલ શિ.ત્રિવેદી.

આપણે આજ સુધીમાં કેટલાક છંદો અને તેનાં બંધારણ જાણ્યાં. આજે એક અભ્યાસનાં કેટલાંક તારણો રજૂ કરીને આપણા બે ઉચ્ચકોટિના કવિઓનું છંદરહસ્ય બતાવવું છે. 1969માં મારા એમ.એ.ના અભ્યાસનિબંધમાં મેં ” સુન્દરમ્ અને ઉમાશંકરનાં ગ્રંથસ્થ કાવ્યોમાં શિખરિણી” એ વિષય પર જે કાંઈ જાણ્યું-લખ્યું તેનાં તારણોમાંથી કેટલુંક અહીં રજૂ કરું છું :

1] સુન્દરમ્ નાં કુલ પાંચ સંગ્રહો છે. જ્યારે ઉ.જો.નાં કુલ સાત છે. સું.નાં બે સંગ્રહો ‘કૉયાભગતની કડવી વાણી’ અને ‘રંગ રંગ વાદળિયાં’માં એકપણ કાવ્ય છંદમાં નથી; જ્યારે ઉ.જો.નાં સાતેય સંગ્રહોમાં છંદ વગરનો એકપણ નથી.
2] સું.નાં કુલ કાવ્યો 124માંથી  95 કાવ્યો છંદબદ્ધ છે; જ્યારે ઉ.જો.નાં કુલ 145 કાવ્યોમાંથી 82 કાવ્યો છંદબદ્ધ છે. સું.નાં બે સંગ્રહોમાં છંદ જ નથી જ્યારે ઉ.જો.ના પ્રાચીના અને મહાપ્રસ્થાનનાં 100% કાવ્યો છંદમાં છે !
3] સું.ના ફક્ત ત્રણ જ સંગ્રહોમાં કુલ 56 કાવ્યો શિખરિણીમાં છે; જ્યારે ઉ.જો.નાં સાત સંગ્રહોમાં 68 કાવ્યો શિખરિણીમાં છે !
4] ઉ.જો.નાં બધાં જ-68-કાવ્યોની શિખરિણીમાંની બધી જ પંક્તિઓની સંખ્યા 1391 છે; જ્યારે સું.નાં 56 કાવ્યોની કુલ પંક્તિઓ 1475 છે. અર્થાત્ સું.નાં શિખરિણીમાંનાં કાવ્યો લંબાણ ધરાવે છે. ‘ધ્રુવપદ ક્યહીં?’ અને ‘આ ધ્રુવપદ’નામક બે જ કાવ્યોની કુલ પંક્તિ 232 થાય છે! જીવનનું ધ્રુવપદ શોધવાના મહત્વના અનુભવને એમણે શિખરિણીમાં ઢાળ્યો છે !
5] સું.નાં કુલ શિખરિણી કાવ્યોમાં 30 સૉનેટ છે જ્યારે ઉ.જો.નાં કુલ 47 સૉનેટ છે.
6] ભાવ અને રસની દૃષ્ટિએ બંનેએ જે રચના કરી છે તેમાં તેઓ બંને કેવા પેરેલલ જાય છે તે જોવા જેવું છે !:
   આમાં પ્રથમ આંકડો સુન્દરમ્ નો સમજવો અને બીજો ઉ.જો.નો : શૃંગાર :કાવ્યો, 17/23…હાસ્ય: 18/14.
   કરુણ : 13/15. ભક્તિ: 15/7 (અહીં સુંદરમનું પોંડિચેરી યાદ આવે !) ઉત્સાહ- આવેગ 5/4.
   વિસ્મય : 8/6 અને શાંત : 5/6
7] છૂટછાટ તેઓએ લીધી છે તેની વિગતો આ પ્રમાણે છે : લઘુ-ગુરુની છૂટ સું.કુલ 1475 પંક્તિઓમાં 890 છે જ્યારે ઉ.જો.એ કુલ 1391 પંક્તિઓમાં 1120 છૂટ લીધી છે !! બંને મહાનુભાવોનાં બબ્બે કે ત્રણેક મુક્તકોને બાદ કરીએ તો એકપણ કાવ્ય એવું નથી જેમાં એકપણ છૂટ ન લીધી હોય !!
8] સું.નાં ‘સ્મિતનો જય’ કાવ્યની 8 પંક્તિઓમાં 17 છૂટ લીધી છે જ્યારે ઉ.જો.ના ‘વાંછા’ કાવ્યની 14 પંક્તિઓમાં કુલ 25 છૂટ છે !!!
9] શબ્દમરોડ કરાયા હોય તેવા સું.માં કુલ 269 છે જ્યારે ઉ.જો.માં 282 છે.
10] સું.ના ‘ઉષા ન્હોતી જાગી’ કાવ્યમાં ‘તહીં પેલા ટુઇ ટુઇ ટહુક અમરાઈથી ઉઠતા’ પંક્તિમાં 17ને બદલે કેટલા અક્ષરો છે, ગણી જુઓ ! ઉ.જો.ના ‘ટપ્પાવાળો’કાવ્યમાં ‘કહે લોકો મરિયમ ! કબરમહીં તું છે સુઇ રહી.’ ઉપરાંત ‘બની બાદલ પાછું તવ ઉર વસું જો પ્રભુકૃપા !’ કે સુણાવ્યાં હાલરડાં ખગકુલતણા ગીત…..માં હાલરડાંમાં એક ગુરુને બદલે બે લઘુ કરીને માત્રામેળ બનાવી દીધો !
11] સુન્દરમ્ માં બે કાવ્યો ‘તમને’ તથા ‘સુધાપીવી’માં વિસર્ગ ( : ) નો ઉપયોગ અક્ષર તરીકે કર્યો છે ! પરિણામે અક્ષરો ખૂટે છે !

મિત્રો ! આ તો થયો એક અભ્યાસ. એમની ભુલો શોધવાનું આપણું શું ગજું ? શી લાયકાત ? એમની ઉંચાઈ અને ઉંડાઈનું માપ તો આજ દિવસ સુધી કઢાતું જ આવ્યું છે.આપને તો છંદનો નાદ લઈને બેઠાં છીએ તો આય એક નાદ જ!

આજના છંદો :
શાલિની : અક્ષર : 11  યતિ : એક અને ચોથા અક્ષરે. બંધારણ : ગાગાગાગા, ગાલગા ગાલગાગા 
               ગણો : મ,ત/ત+ગુ,ગુ. ઉમાશંકરના ‘નિશીથ’ કાવ્યમાં

                                              “પીંછાં  શીર્ષે    ઘૂમતા  ધૂમકેતુ
                                                તેજોમેઘોની ઊડે  દૂર  પામરી”  
                                  ઉપરાંત  ” જે કૈં માણી,જિન્દગીની ઉજાણી
                                                જે કૈં માણ્યા, મિત્રજૂથો શું સ્નેહ;”
નોંધ :      શાલિનીના પ્રથમ અને બીજા ખંડની વચ્ચે પાંચ લઘુ અને એક ગુરુ ઉમેરી દ્યો એટલે થઈ જાય મંદાક્રાંતા !!
તોટક :     12 અક્ષર. ગણો : સ,સ,સ,સ ( બંધારણ:લલગા લલગા લલગા લલગા )
                                              ” તવ હું તુજ એ સહુ સુંદરતા
                                                કલપી બહુ મોદ ધરું મનમાં;
                                                તુજ રંગ બધા મુજ આ તનમાં
                                                પ્રસરી કંઈ નૃત્ય નવું કરતાં.”
ભુજંગી :    12 અક્ષર. ગણો : ય,ય,ય.ય  ( બંધારણ : લગાગા લગાગા લગાગા લગાગા ) 
                                               ”પુરી એક અંધેરી ને ગંડુ રાજા
                                                 ટકે શેર ભાજી ટકે શેર ખાજા”       
લલિત :    11 અક્ષર. યતિ એક અને છઠ્ઠા અક્ષરે. ગણો : ન,ર,ર + લગા.
                ( બંધારણ: લલલ ગાલગા,ગાલગા લગા )
                                               ” અરર બાલુડાં ! બાપલાં અહો !
                                                 જનની આ હવે સ્વર્ગમાં જતી !
                                                 સમજશો નહીં  શું  થઈ  ગયું !
                                                 રમકડું  કયું,  હાથથી  ગયું !”

…………………………………………………………………………………………………….
અબ લેંગે એક છોટાસા બ્રેક !  બાકીકા રહેલા પીચ્છુ લેંગે, ક્યા?!

Responses

ભુજંગી
અમારા બધાના વહાલા તમો છો.
તમારા કદી ના વહાલા અમો કાં?
પઠાવો તમો પ્યારથી આ જ પાઠો
અમો તો ભણીશું ભલે સોટી મારો!

તોટક

સસલાં ગમતાં રમતાં, હસતાં,
નભમાં વિહગો મદમાં ઉડતાં,
જલમાં તરતાં સલિલો સઘળાં,
વનમાં ભમતાં ચરતાં પશુઓ.

સઘળું નિરખી મનડું હસતું,
કવિતા કરવા મનમાં બળતું.

તમારા થકી આટલું આવડ્યું, જે
વહેંચી રહ્યો એ બધું પ્રેમથી ; કાં
તમે એમ કીધું ભલા,’વ્હાલ ના છે
મને કૈં તમારા વિષે ?’આવું ચાલે ?!

ભલા,આટલું આમ કાં કાચું બોલો–
કદી તો ભલા,પ્રેમથી સાચું બોલો!
તમે ને તમારી અહો,ટોળીનાં સૌ
સદા આંખ-માથા પરે!કેમ ના કૌં?

તમને,ટીમને,સહુને જ નહીં,
ગુજરાતી સમગ્ર જગત્ ને પણ
અહીંથી બસ એક અપેક્ષા છે
ગુજરાતી શીખો,ગુજરાતી કહો;
ગુજરાતી રહો, ગુજરાત ચહો !

Hello Jugalkishorbhai,

Your email of today was really enjoyable. Specifically the Section on Poetry was very interesting. Also I have been looking for “Chhand bandharan and the singing in Raag as per the chhand”… I am trying to be a regular reader of our Gujarati poetry and prose, as Shri Uttambhai gajjar and his team is publishing.

Your website and your poems very excellent .. A very praise worthy work. People like you are keeping the FLAME OF Gujarati Bhasha alive and flourishing.. I have to be a “committed reader and contributor”..

Thanks for your website.. I have also received GUJARATI fonts from Shri Uttambhai.. but as I said, I must try to use them.. such that I can start writing in Gujarati.

I may come back to ask you about “what books to buy from India” for the Chhanda, Alankaars and like” so that I can enjoy the lyrics and singing of those poetries written in the “bandharan of those Chhandas” etc..

Best wishes.

Ashvin Bhatt

ગુજરાતી શીખો,ગુજરાતી કહો;
ગુજરાતી રહો, ગુજરાત ચહો !

લલિત
લલલ ગાલગા,ગાલગા લગા
————————-
અજબ વાત આ આપની મળી,
નવિનતા વળી લાગતી બધી.
વતનથી અહો આટલા દૂરે,
તરલ કાવ્યની આ નદી વહી.

વાહ !!

Leave a response

Your response:

Categories