Posted by: jugalkishor | January 27, 2007

NET-પિંગળ : 2

મિત્રો !

ગયા હપ્તે “છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છે” એમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વિષે સાંભળ્યું છે પણ કવિતામાં ય ગણોને ગણવાના ?! ગણોની ગણના (ધ્યાન-સ્થાન અપાવું)કવિતા જેવી નાજુક બાબતમાં કરીને એની પાછી સંખ્યાની ય ગણના(ગણતરી) કરવાની ?!કવિતા જેવા મઝાના વિષયમાં આવું  ગણ ગણ કરતા રહેવું એ શું નકામો ગણગણાટ કરવા જેવી બાબત નથી શું ?

આજના સ્વચ્છંદતાની ઉપાસનાના સમયમાં,સ્વતંત્રતાને નામે ઘણી છૂટછાટો લેવાની પરંપરા પેસી ગઈ છે અને સૌ શોર્ટકટ શોધતાં ફરે છે ત્યારે છંદની માથાકૂટમાં પડવાનું  અવ્યવહારુ ન ગણાય ?

ના, જરાય નહીં ! ગણોની વ્યવસ્થા એકવાર સમજાઈ જાય અને એ વ્યવસ્થા મનમાં બંધબેસતી થઈ જાય પછી આપણી સર્જનપ્રક્રિયામાં એકાકાર થઈ જાય છે અને એનો કોઈ જ જાતનો ભાર રહેતો નથી ! પછી તો કવિતાનું સર્જન થવાના ભાગ રૂપે જ છંદો ગોઠવાતા જાય છે.અહીં હું ફરીવાર ગણ શબ્દનો શ્લેષ કરીને કહીશ કે એકવાર છંદોનું બંધારણ મનમાં ગણગણતું થઈ જાય,રમતું થઈ જાય પછી એનો બોજ મન ઉપર કે સર્જનપ્રક્રિયા ઉપર થતો નથી, ને કવિતાના શબ્દો છંદના વહેણમાં જ વહેતા થઈ જાય છે. ( છંદોની વાતમાં અક્ષરો અને માત્રાઓની વાત પણ ખૂબ મહત્વની છે અને એને પણ સમજી લેવી જોઈએ પરંતુ એ વાત આપણે આગળ ઉપર જોઈશું )

તો હવે જોઈએ આ ગણ :

આપણે જોઈ ગયાં કે છંદોમાં અક્ષરો અને માત્રાઓનું સ્થાન પણ મહત્વનું હોય એટલું જ નહીં પણ ક્યા સ્થાન પર લઘુ અને ક્યા સ્થાન પર ગુરુ અક્ષર આવશે એ પણ ધ્યાનમાં લેવાનું હોય છે. ગણોને સમજવામાં પણ આ લઘુ-ગુરુનું સ્થાન મહત્વ ધરાવે છે.

ગણો કુલ આઠ છે. દરેક ગણ ત્રણ અક્ષરોનો બનેલો હોય છે. અને દરેક ગણમાં લઘુ અને ગુરુ અક્ષરો નિશ્ચિત સ્થાન પર હોય છે, બલ્કે એમ કહેવુંજોઈએ કે એ નક્કી થયેલા સ્થાનોને આધારે જ એ ગણ ઓળખાય છે.આપણા ભાષાશાસ્ત્રીઓ પણ બહુ જબરા માણસો હતા ! તે લોકો જાણતા હતા કે ભવિષ્યમાં બધાને સમજાવવા માટે કંઈકને કંઈક સહેલો રસ્તો બનાવવો જ પડશે. એટલે તેમણે આપણા માટે આ ગણોને સમજાવવા માટે એકદમ સહેલાં સૂત્રો બનાવી રાખ્યાં છે ! જુઓ આ સૌથી પહેલું જ સૂત્ર :” યમાતારાજભાનસલગા” આ સૂત્ર બધાંએ કંઠસ્થ કરી જ લેવાનું છે.આ સૂત્રની રચના જ્યારે સમજાય છે ત્યારે આપણા આ વિદ્વાનો વિષે બહુ જ માન ઉપજે છે ! કેવી અદ્ભુત રીતે એમણે આ સૂત્ર દ્વારા બધ્ધું જ ગોઠવી આપ્યું છે !!

ઉપરના સૂત્રને સમજતાં પહેલાં આપણે દરેક ગણમાંના અક્ષરોની ગોઠવણી સમજી લઈએ.કોઈ પણ ત્રણ અક્ષરોનો શબ્દ લો.જેમકે મગન/રખોડી/સૂરત/ખુરશી વગેરે…તમે જોશો કે ત્રણેય અક્ષરો વારાફરતી લઘુ-ગુરુ ગમે ત્યાં આવી શકે છે.આ ગોઠવણ કુલ આઠ રીતે થઈ શકે, એનાથી વધુ એક પણ ગોઠવણ ન થાય !  ત્રણ અક્ષરોવાળો કોઈ શબ્દ આ સિવાયની બીજી રચનામાં ગોઠવાઈ શકે જ નહીં ! આ ગોઠવણી આઠ રીતે થાય :( ગા=ગુરુ અને લ=લઘુ.)
1]: લ ગા ગા-(યશોદા) 2]: ગા ગા ગા-(માતાજી) 3]: ગા ગા લ-( તારાજ) 4]: ગા લ ગા-(રાજભા)  5]: લ ગા લ-(જ કા ત) 6]: ગા લ લ-(ભારત) 7]: લ લ લ-(ન ય ન ) 8]: લ લ ગા-(સ વિ તા).હવે આ આઠેય ગણોના અક્ષરોને જે નામ કૌંસમાં આપ્યાં છે તે દરેક નામનો પ્રથમ અક્ષર લઈને લાઈન બનાવીશું તો શું લખાશે ? જુઓ : ય મા તા રા જ ભા ન સ !! એક લઘુનો  લ અને  ગુરુનો ગા  એમાં ઉમેરી દ્યો એટલે થઈ ગયું
” યમાતારાજભાનસલગા”! વાત આટલેથી પૂરી થાય તો તો આપણા વિદ્વાનોને પોસાય નહીં ! આ વાક્યની સૌથી મોટી ખૂબી તો એ છે કે એની અંદર જ આખી રચના પણ આપોઆપ ગોઠવી દીધી છે !! કઈ રીતે ? જુઓ :
એ વાક્યના પ્રથમ ત્રણ અક્ષરો લો. તો થઈ જાશે,યમાતા  .એટલે કે પહેલો ગણ ( યશોદા/લગાગા)! હવે પહેલો અક્ષ્રર છોડીને તરતના ત્રણ અક્ષ્રરો વાંચો : તો થશે માતારા.એટલે કે બીજો ગણ (માતાજી/ગાગાગા)!હવે પહેલા બંને અક્ષરો છોડીને પછીના ત્રણ અક્ષરો વાંચો :તો વંચાશે :તારાજ. એટલે કે ત્રીજો ગણ (તારાજ/ગાગાલ)! આ રીતે એક એક અક્ષર છોડતા જઈશું તો બધા જ ગણોની ગોઠવણી આપોઆપ થઈ જશે.

હવે આપણે મંદાક્રાંતા છંદની એક પંક્તિ લઈએ.” એ પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો ” હવે દરેક ત્રણ ત્રણ અક્ષરોનાં જોડકાં બનાવીએ.જુઓ :  એપંખી / નીઉપ / રપથ / રોફેંક /તાફેંકી /દીધો-( છેલ્લે વધે તે બંને અક્ષ્રરો ગણમાં આવે નહીં એટલે એબંને ગુરુ હોઈ,ગા ગા કહેવાના)

 હવે યાદ કરો,પ્રથમ જોડકા ‘એપંખી’નું ગણનામ શું હતું ? ગાગાગા= ગણ/માતાજી.બીજા જોડકા ‘નીઉપ’નું ગણનામ ? ગાલલ=ગણ/ભારત ! ત્રીજા રપથ નું ? લલલ=ગણ/નયન.રોફેંક જોડકાનું ગણનામ ? ગાગાલ=ગણ/તાતાર…તાફેંકી જોડકાનું ગણનામ ?(એનું પણ એ જ નામ)ગાગાલ=ગણ/તાતાર ! અને છેલ્લા બંને અક્ષરો ‘દીધો’ ગુરુ છે = ગા ગા. હવે બધા જ ગણોના અક્ષરોને લાઈનમાં ગોઠવી દો :મ-ભ-ન-ત-ત-ગાગા.આ થઈ ગયું મંદાક્રાંતાનું બંધારણ !! પરંતુ આપણા વિદ્વાનો દયાળુ પણ કેટલા હતા ? એમણે આપણને યાદ રાખવા માટે લીટી પણ તૈયાર કરી આપી : મંદાક્રાંતા,મભનતતગા,ગાગણોથી રચાયે.(વચ્ચે ચોથા-દસમા અક્ષર પછી અલ્પવિરામ મૂક્યું છે તેની ચર્ચા એના સમયે કરીશું.
 
આપણે એ પણ સાબિત કરવું છે કે આ બધી માથાકૂટ લાગે છે એવી અઘરી તો નથી જ નથી.મારા પર વિશ્વાસ રાખજો,એને આપણે સહેલું બનાવીને જ ઝંપીશું.પણ એ માટેની પ્રથમ શરત એ છે કે તમે સૌ અભિપ્રાય અને ચર્ચા દ્વારા ધ્યાન દોરતાં રહો ! ( એક છોટાસા બ્રેક લેંગે ;હવે પછીનું બ્રેક કે બા…દ!)  –જુગલકિશોર.

Responses

saras rite samajaavo chho saaheb
hu 8 ma dhoranmaa pahochi gayo
jyaa mandakranta chand shikhyo hato
abhar
vijay shah

ક્યાંથી જાણું અરર ગુરુજી ! છંદ મુજને ન ફાવે !
બોલો ત્યારે કવિત મુજ આ આપને કેમ લાગ્યું?

અરે ! એમાં શાને ‘અરર’, અહિ તો આપણ બધાં
મળીને શીખીશું ‘ અધધ’, નહિ ઓછેથી રિઝિયે !
તમે મંદાક્રાન્તા સરસ, પણ થોડો ઝડપથી-
લીધો; તેથી, જાણો ? પ્રથમ લિટિમાં ભૂલ કરિ તે ?

ક્યાંથી જાણું અરર ગુરુજી છંદ ” મુજને” ન ફાવે
એમાં યોજ્યા અધધધ તમે અક્ષરો ‘ઢાર પૂરા !
ક્યાંથી જાણું અરર ગુરુજી ! છંદ ફાવે મને ના.

તોયે દેશું જરુર તમને હોંશથી ધન્યવાદો !
વૃદ્ધાવસ્થા મહીં, વળી અહો આટલી વ્યસ્તતામાં
શીખી લેવા સતત સઘળું હોંશ કેવી ધરાવો !

મોના માટે જરુર જ તમે મોકલી આ શકો છો
મારું દીધું કવિત તમને જન્મની ભેટ રૂપે.
એણે લીધું જનમદિન-સપ્તાહ નું ‘પણ’
મેં આ દીધું જનમદિનનું મુક્તક પ્રેમ સાથે.

મેં લીધી છે ઘણીક ઘણી હ્યાં છૂટછાટો બધી તે
દર્શાવીને સહુ જલદિથી પાઠ આ શીખશે શું ?!

ગણો આજે શીખ્યા.પ્રેક્ટીસ કરવી પડશે.પણ ખૂબ સરળ રીતે સમજાવેલ છે.સ્કૂલમાં શીખેલ થોડુ ..તે આજે આટલા વરસે ફરી એકવાર પાકુ કરવાનો આનન્દ આપવા બદલ આભાર

આ છંદ શીખવું, પચાસ પછી સહેલું?
આ મારું કામ નહીં, એ હું નિહાળું કાં ન?

આ વસંતતિલકા બરાબર છે?પાસ?નાપાસ?

ગુરૂજી વંદીએ,તમ ચરણમાં કેમ ન હવે?
શિખ્યા છીએ આજે,કઇક નવું ના ભૂલવું કદી.

અને આ શિખરિણી?

પાસ?નાપાસ?

પાસ..નાપાસ જે કરો તે આભાર સાથે સ્વીકાર.

પહેલી-બીજી બંને પંક્તિ સાચી છે. સાવ શુદ્ધ ! બીજીમાં છેલ્લો ન ગુરુ હોવો જોઈએ છતાં નિયમ એવો છે કે છેલ્લો અક્ષર બીજી લીટીમાં જતાં જતાં આપોઆપ લંબાઈ જાય છે એટલે કવિને એ છૂટ મળે . પરંતુ કવિએ એવી રચના જ કરવી જોઈએ કે અપવાદ ન થાય ! જેમ કે 1] આ મારું કામ નહીં (નહિ), એ ન હું કાં નિહાળું ? અથવા 2] એ હું નેહાળું કાં ના ? આમ કરો એટલે છેલ્લો ગુરુ આપોઆપ થી ગયો ?! નહીં ની જગ્યા લઘુની છે ને ‘ હીં ‘ કાયદેસર ચાલે જ પણ આપણી પાસે નહિ આમ પણ થઈ શકે છે તો એનો લાભ લઈને હીં ને બદલે હિ લખ્વો ! વસતં..માં પાસ ! ફુલ્લી પાસ. માર્ક્સ હમાણા નહીં !

શિખ.માં પ્રથમ યતિ 6 પર આવે. એની પહેલાનો પાંચમો ગુરુ પણ યતિ જેવો જ છે એટલે દી ને લંબાવવા જેટલી તાકાત નથી. ત્યાં આ/એ/ઓ/ઔ/ જેવા લંબાણક્ષમ અક્ષર હોય તો વધુ સારું…પરંતુ કવિને મળતી છૂટનો લાભ આપીને બંને લીટીને “સાવ પાસ” આપી શકાશે !! ( શિખ્યા માં શિ તમે લઘુ તો કર્યો પણ નિયમ એવો છે કે જોડાક્ષરની પહેલાનો અક્ષર પણ ગુરુ બની જ જાય ! ખ્યા નો થડકારો શિ ને લાગવાનોને ?! છતાં શિખ્યામાં શિ અને ખ્યા બંને બહુ લંબાણ કરનારા નથી એટલે ચાલે.)
બંનેમાં પાસ; અભિનંદન !

પાસ કરવા બદલ આનંદ સાથે આભાર.નહીંતર મારા વિધ્યાર્થીઓને શું કહેત?

વધુ મહેનત કરત રહીશું.

I wish my college teachers were this good!

એનો યશ ખરેખર તમારા ટીચરને જ જાય છે ! આટલાં વર્શોના ગૅપ પછી છંદને કોણ યાદ કરે છે ?તમને આજ્વ પણ છંદ ગમી ગયા એના મૂળમાં તમારા એ ગુરુજી જ કારણભૂત છે ! મારાં એમને વંદન.

[...] હવે તમે એને અહીં પુરી વાંચી શકો છો! [...]

Shri Jugalkishorbhai,

Sorry I could not find Guj. Keyboard (as it pops-up on other blogs) so excuse the use of English.
Firstly congratulations and very good wishes for this sight.
After 60, I ‘m trying to laern writing poems. And I just needed these lessons!I am accustomed to write Short stories,but kavyo ! tough nut to crack.

By the way I recall two lines from my school days, Hope it might be useful to co-students.
“BARE SAAT MASAJASATTGCHHE, SHARDUL VIKRIDEETE” and
“RASERUDRE CHHEDI, YMNSBHLAAGE SHIKHARINI”
(I wish i could write in Guj. script-can u convert it?)
How do other people respond to you in Guj. script ? How can I show you my homework ?
regards.

kaka….khub khub aabhar… chhand nu knowledge na hatu… school ma shikhvelu khas yaad na hatu… aapnu margdarshan khub j saras chhe… aapno khub khub aabhar..

Leave a response

Your response:

Categories