ઉજળિયાત (મંદાક્રાંતા)
પ્રાત:કાળે સુરજ ચડતો થાય આભે હજી , ત્યાં
આવી પહોંચે સમયસર શાં શેરિયું વાળનારાં!
સ્નાનાદિથી સહજ પરવારી, શુચિ વસ્ત્ર પ્હેરી ,
ગંદું, મેલું, અહીં તહીં બધાંનું પડ્યું કાલનું , તે
વાળી ચોળી, ઝગમગ કરી જાય,સૌ આંગણાંને !
ચોખ્ખાંચોખ્ખાંતન,મન અને વાણીસંગાથ આવે,
સૌની દીધી, સહજ ધરમે, ગંદકીને સ્વીકારે.
“આપી જાજો બહન,કચરો” સાંભળી સાદ,જાગે-
આંખો ચોળી અલસ ગ્રુહિણી મોં બગાડી, પછાડી,
આપી દેતાં ગ્રુહ–ભીતરની ગંદકી બેઉ, સાથે!!
રોજીંદો આ ક્રમ બદલી નાખે જૂની માન્યતાઓ;
‘ઉંચાં-નીચાં કરમ’ તણી સૌ ક્ષુદ્ર વિભાવનાઓ.
ફેલાવે જે જગતભરમાં કુત્સિતા, ‘ઉચ્ચતા’ ના;
રેલાવે જે અણું અણું શુચિતા,નકી, ‘શૂદ્રતા’ ના!
–જુગલકિશોર.


